ધંધુકામાં કિશન ભરવાડની હત્યાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી મુકી છે. કિશનની સાસરી વડોદરામાં તેના સસરા, સાળા સહિતના સંબંધીઓમાં શોકની લાગણીમાં ડૂબી ગયા છે,
ત્યારે કિશનના સસરાએ જણાવ્યું હતું કે, દીકરીના જન્મના 20 દિવસ બાદ જ પિતા કિશનભાઇની હત્યા કરવામાં આવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જમાઇ કિશન દીકરી જન્મતા ખુબ જ ખુશ હતા અને દીકરને ભણાવી-ગણાવીને ડોક્ટર બનાવવા માંગું છું તેમ કહ્યું હતું. હવે આ સપનાને અમે પુરુ કરીશું.
દીકરીના જન્મ પછી કિશન ખૂબ ખુશ હતા..
સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મુક્યા બાદ પોલીસ કેસ થયો અને જામીન પર છૂટેલા કિશન ભરવાડની ધંધુકામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
જ્યારે કિશનની હત્યા કરવામાં આવી ત્યારે તેમના ઘરે દીકરીને જન્મ થયાને માત્ર 20 દિવસ જ થયા હતાં. દિવ્યભાસ્કર સાથેની વાતમાં કિશનના વડોદરા ખાતે રહેતા સસરા જેસંગભાઇએ જણાવ્યું હતું કે, ભાણીનો જન્મ થતાં છઠ્ઠીના દિવસે વસ્ત્રો અને અન્ય વસ્તુઓ લઇને અમે વડોદરાથી ધુંધુકા ગયા હતાં.
ત્યારે અમને જાણવા મળ્યું કે, અમારા જમાઇની ઇચ્છા હતી કે, મારા ઘરે લક્ષ્મી (દીકરી)નો જન્મ થાય. દીકરીનો જન્મ થયા પછી જમાઇ કિશન ખૂબ ખુશ હતા અને તેમના હરખની કોઇ સીમા ન હતી.
ધંધુકામાં કિશનની હત્યા થઇ ત્યારે તેની દીકરીના જન્મને 20 દિવસ જ થયા હતા
જમાઇએ કહેલુ કે કે, મારુ સપનું છે કે, મારી દીકરને ડોક્ટર બનાવીશ
નામકરણ વખતે તેમણે અમારી બધાની હાજરીમાં જમાઇ કિશને કહ્યું હતું કે, મારુ સપનું છે કે, હું મારી દીકરને ભણાવી-ગણાવીને ડોક્ટર બનાવીશ. તેમની એ ઇચ્છા રહી ગઇ પણ હવે તેમની આ ઇચ્છા અમે પુરી કરીશું. હું તેમના પરિવારના સભ્યોને પણ આ અંગે કહીશ અને અમે બધા મળીને કિશનની ઇચ્છા પુરી કરીશું.
કિશને દીકરીના કંકુપગલા કરાવ્યા હતાં
કિશન દીકરીના જન્મ બાદ એટલો ખુશ હતો કે પત્નીને ડિલિવરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે તેના ઘરમાં પ્રથમ કંકુપગલા કરાવ્યા હતાં. ઘરમાં આવતા જ કિશન અને તેમની પત્નીએ દીકરીને તેડીને ફૂલોની ચાદર પર પાપા પગલી કરાવી હતી.
જ્યાર બાદ કંકુથી દીકરા પગલા ઘરમાં પડાવ્યા હતા અને તે કાપડ પર પાડેલા પગલા યાદગીરી રૂપે સાચવી રાખ્યા છે. ઘરમાં પણ તેના આગમન ટાણે વેલકમ બેબી લખી ડેકોરેશન કર્યું હતું. ઉત્તરાયણ પર્વ હોવાથી દીકરીના આજુબાજુ પતંગ, ફિરકી અને ચિક્કીનું ડેકોરેશન કરી ઉતરાયણની થીમ પર ફોટોગ્રાફી અને વીડિયો પણ બનાવ્યો હતો તથા વ્હાલ વરસાવ્યું હતું.
કિશન નો વિશ્વાસ જીતી તેમની હત્યા કરી નાખી..
વડોદરાના ન્યૂવીઆઇપી રોડ નજીક ખોડિયાનગર વિસ્તારમાં રહેતા કિશનના સસરા જેસંગભાઇએ દિવ્યભાસ્કર સાથેની વાતમાં જણાવ્યું હતું કે, હત્યા થયાના આઠ દિવસ પહેલા જમાઇ કિશનભાઇ સાથે મારે ફોન પર વાત થઇ હતી.
મેં તેમને કહ્યું હતું કે, તમે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મુકી તેના વિરૂદ્ધ તમારી સામે આવેદનપત્ર આપી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને માફી પણ મંગાવવામાં આવી તેમજ ધરપકડ બાદ જામીન મળ્યા છે.
તેથી હવે તમે ત્યાં ન રહેશો, મામલો થાળે પડી જાય ત્યા સુધી તમે વડોદરા આવી જાવ. મેં વેવાઇ શિવાભાઇને પણ કહ્યું હતું કે જમાઇને વડોદરા મોકલી દો. પરંતુ, નરાધમોએ જમાઇ કિશનને એવી રીતે વિશ્વાસમાં લઇ લીધા હતા કે, હવે સમાધાન થઇ ગયું છે. પરંતુ વિશ્વાસમાં લીધા બાદ એ લોકોએ દગો,
કર્યો અને પાછળથી હુમલો કરી ગોળીમારી હત્યા કરી. અમારી વેદના છે કે, તમને અલ્લાહ અને અમારો ઠાકર ક્યારે માફ નહીં કરે.
કિશનના સસરા જેસંગભાઇ ભરવાડ
આરોપીઓને ફાંસી કે જાહેરમાં એન્કાઉન્ટર કરવાની માંગ કરી
વિધર્મીઓ દ્વારા ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર ખોડિયારનગર ચાર રસ્તા પાસે સયાજી ટાઉનશીપ નજીક રહેતા કિશન ભરવાડના સસરા જેસંગભાઇ મોતીભાઇ ભરવાડ અને સાળા પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે, અમારી માંગણી છે,
કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અથવા તો તેમનું જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે. જો આરોપી મૌલવીઓ છે તેમને પણ કડકમાં કડક સજા થવી જોઇએ.
દિલ્હીના મૌલવી સહિત 6 આરોપીના 7 દિવસના રિમાન્ડ
ધંધુકામાં ગત 25 જાન્યુઆરીએ ધોળા દિવસે કિશન ભરવાડ નામના યુવક ઉપર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત ATS તપાસ કરી રહી છે, જેમાં અત્યાર સુધીમાં દિલ્હીના મૌલાના કમરગની ઉસ્માની સહિત 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ આરોપીઓને ધંધુકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ ATS તરફથી માંગવામાં આવ્યા હતા. જોકે કોર્ટ દ્વારા 7મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.